જયેશ રાદડિયાએ જાહેરમાં લેઉવા પટેલોને આપ્યો ઠપકો : સમાજના નામે રાજકારણ રહેવા દેજો

MLA Jayesh Radadiya : જામકંડોરણામાં યોજાયેલા શાહી સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાટીદાર સમાજને ટાંકીને કહ્યું કે, મજબૂત આગેવાનને સ્વીકારજો, માયકાગ્લાને નહિ

જયેશ રાદડિયાએ જાહેરમાં લેઉવા પટેલોને આપ્યો ઠપકો : સમાજના નામે રાજકારણ રહેવા દેજો

Rajkot News : જામ કંડોરણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલ ભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં લેઉવા પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા 351 દિકરીઓના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજીત આ લાડકડીના લગ્ન આઠમો શાહી સમુહલગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાનો લેઉવા પટેલ સમાજને ઠપકો આપ્યો હતો. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, સમાજના નામે રાજકારણ રહેવા દેજો. 

મજબૂત આગેવાનને સ્વીકારજો, માયકાગ્લાને નહિ
જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, સમાજના નામે રાજકારણ રહેવા દેજો. સમાજની વાત આવી ત્યારે મેં રાજકારણ એકબાજુ રાખ્યું છે. સમાજના વ્યક્તિ આગળ જાય તો સહકાર આપજો. સમાજના આગેવાનને પાડી ન દે તે લેઉવા પટેલ સમાજ ના કહેવાય. સરદાર પટેલ બાદ બીજો સરદાર સમાજને મળ્યો નથી એ કમનસીબી છે. મજબૂત આગેવાનને સ્વીકારજો, માયકાગ્લાને નહિ. સમાજની કમનસીબી છે કે એક રહેવા માટે હાકલ કરવી પડે છે. સમાજ સંગઠિત નહિ થાય તો આવનારા સમયમાં કોઈ નહિ બચાવે. 80 ટકા થી વધુ લેઉવા પટેલ પાટીદાર સમાજ ગામડામાં મુશ્કેલીમાં છે. અમારો વિસ્તાર હોય કે ન હોય જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે. 

જામકંડોરણામાં શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો 
જામકંડોરણા ખાતે યોજાયેલ આઠમો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રમેશ ધડુંક, દિલીપ સંઘાણી તેમજ રાજકીય, સામાજિક સમાજના અગ્રણીઓ, મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એકસાથે 351 જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડી.જે, બેન્ડવાજા, ઘોડેસવારી તથા 100 જેટલા ઢોલીઓ સાથે જામ કંડોરણામાં એક સાથે 351 દિકરીઓના સમુહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા.

જયેશ રાદડિયાએ 351 દીકરીઓનું કન્યાદાન કર્યું 
સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રિજ, લાકડાના બેડ, સોફા, ચાંદીના પાયલ, સોનાનો દાણો સહિત અન્ય ચીજવસ્તુઓ ઉપરાત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કારીયાવારમાં ભેટ આપવામાં આવી હતી. આ શાહી સમૂહ લગ્નમાં અંદાજીત દોઢ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા અને ભોજન સહિતની વ્યવસ્થા માટે પાંચ હજાર જેટલા સ્વયં સેવકોએ સેવા આપી હતી. સાથે જ જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયાએ 351 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. શાહી સમૂહ લગ્નમાં જોડાનાર નવ દંપતીઓને રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રભુતામાં પગલાં પાડનાર દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news